બુધવાર, 16 માર્ચ, 2011

દ્વાર

એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.
હોઠ પર આવી અને અટકી ગયેલી વાતને,
આંખમાં થીજી ગયેલા ભાવ બોલી જાય છે.
કોઈની ઉત્તેજના, આંસુ, વ્યથા, આઘાતને
ફેરિયો વાંચ્યા વિના સસ્મિત તોલી જાય છે !
ને હૃદયના કોઈ ખૂણામાં મુકેલી લાગણી
બર્ફની માફક સમય બિન્દાસ છોલી જાય છે.
ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે.
કોઈ તો સંબંધ ‘ચાતક’ એમની સાથે હશે,
એમના દર્દો મને શું કામ ફોલી જાય છે ?
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો