બુધવાર, 16 માર્ચ, 2011

ભમરાં મકાનમાં

ભોળા હૃદયને એની ક્યાં જાણ હોય છે,
આંખોના આયનામાં અરમાન હોય છે.
એને કહી શકો છો નાદાનિયત તમે,
સ્વપ્નાં હકીકતોથી અણજાણ હોય છે.
ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.
પત્થરને પૂજવા વિશે બીજું તો શું કહું,
ઝૂકી જવામાં કોઈનું અપમાન હોય છે.
‘ચાતક’, ભલે ને આદમી નાનો ગણાય પણ,
એના રૂપે જ રાચતો ભગવાન હોય છે.
એની ઉઘાડી આંખમાં એ ધ્યાન હોય છે,
કે કોને એના આગમનની જાણ હોય છે.
કાતિલ નજરની વાતમાં ક્યાં છે નવું કશું,
આ પાંપણોનું નામ કદી મ્યાન હોય છે.
એના વિશે તો પારધીને પૂછવું પડે,
હર તીરમાં છૂપું કોઈ ફરમાન હોય છે.
નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.
‘ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો